કાર સાથે આખલો અથડાયો, લોહીલુહાણ ચાલકે ટોળું ઉભું હોવા છતાં અકસ્માતગ્રસ્ત ગાડી આગળ અને પછી રિવર્સ લીધી | The SG remained ‘factual’ on the highway

Spread the love

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના સરખેજ-ગાંધીનગર (એસ.જી) હાઇવે પર રાત્રે ફરી એકવખત અકસ્માત સર્જાયો છે. જેમાં ગોતા બ્રિજ પર કાર સાથે આખલો અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. પરંતુ લોહીલુહાણ કારસવાર શખસે કારમાંથી બહાર નિકળતા પહેલા કાર આગળ અને પછી રિવર્સ લીધી હતી. બીજી તરફ આખલો ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.

આખલો ઉછળીને કારના બોનેટ પર પડ્યો
તાજેતરમાં જ અમદાવાદના એસ.જી. હાઇવેના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી બે પોલીસકર્મીઓ સહિત દસ લોકોને કચડી માર્યા હતા. જ્યાર બાદ ઇસ્કોન બ્રિજ પર જ એક અજાણ્યા વ્યક્તિનું વાહનની ટક્કરે મોત થયું હતું. ત્યારે આજે રાત્રે 9: 20 વાગ્યા આસપાસ અમદાવાદથી ગાંધીનગર તરફના રસ્તે ગોતા બ્રિજ ઉતરતા જ વધુ એક કાર (GJ 01 KJ 0668) ને અકસ્માત નડ્યો હતો. કાર ગોતા બ્રિજ ઉતરી રહી હતી ત્યારે અચાનક જ સામે આખલો આવી ગયો હતો. જેથી કારે આખલાને એટલી જોરથી ટક્કર મારી હતી કે આખલો ઉછળીને પહેલા કારના બોનટ પર પટકાયો હતો અને ત્યાર બાદ રોડ પર પડતા જ તરફડિયા મારીને ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટ્યો હતો.

કારચાલક બહાર જ ન્હોતો નિકળતો
કારને અકસ્માત સર્જાતા તેના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારની વિન્ડશિલ્ડના કાચ કારચાલકને વાગ્યા હતા. જેથી તે લોહીલુહાણ થઇ ગયો હતો. અકસ્માતને પગલે ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો ઉભા રહી ગયા હતા અને ઇજાગ્રસ્ત કારચાલકને મદદ માટે આવ્યા હતા. જો કે કાર ચાલક કારમાંથી બહાર નિકળી રહ્યો ન હતો અને કારમાં જ બેસી રહ્યો હતો.

કાર આગળ અને પછી રિવર્સ લીધી
જ્યારે મદદે આવેલા લોકોએ કારચાલકને કહ્યું કે બહાર નિકળી જાવ તો કારચાલકે બહાર નિકળવાના બદલે લોકોનું ટોળું ઉભું હોવા છતાં પહેલા કાર આગળ દસ ફૂટ ચલાવી પણ કારને નુકશાન થયું હોવાથી તે વધુ આગળ જઇ શકે તેમ ન હતી અને આગળ મૃત આખલો પણ પડેલો હતો. જેથી લોકોએ બૂમો પાડી હતી કે કાર આગળ નહીં જાય તમે નીચે ઉતરી જાવ. તો કારચાલકે કાર રિવર્સમાં લીધી હતી.

કારચાલકે કહ્યું મારે કોઇને ફોન નથી કરવો
કાર ચાલકને બહાર નિકળી જવા વિનંતી કરતા તે બહાર નિકળ્યો હતો અને પોતાનું નામ બળદેવ હોવાનુ જણાવ્યું હતું. તેમજ તે ઇસ્કોન બ્રિજ પાસે આવેલ એક ખાનગી આઇટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બળદેવને તેના પરિવારજનોને ફોન કરવા જણાવ્યું તો તેણે કહ્યું મારી પત્ની ઘરે છે પરંતુ તેને ફોન કરીશ તો ટેન્શનમાં આવી જશે. મારે કોઇને ફોન નથી કરવો. આ દરમિયાન હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હોવાથી એમ્બ્યુલન્સ આવી ગઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે સોલા સિવિલમાં લઇ જવાયો હતો.

હાજર લોકોએ બોલ્યા જો જો તથ્યવાળી ન થાય
ઇસ્કોન બ્રિજની ઘટનાએ અમદાવાદીઓ પર ઘેરી અસર છોડી છે તેનું પણ એક ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું. કારચાલક ઇજાગ્રસ્ત હોવા છતાં કાર આગળ અને પછી રિવર્સ લેતા તેમજ બ્રિજ પર બંને તરફ આવતા-જતાં વાહનો ઘટના જોવા માટે ધીમા પડતા હતા. જેથી ત્યાં હાજર લોકો એકબીજાને કહી રહ્યા હતા કે જો જો ભાઈ બધા ડિવાઇડર પર ઉભા રહો, રોડ પર કોઇ ઊભા ન રહેશો તથ્યવાળી ન થાય જોજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *