અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતીઓને ઠગ કહેવાના બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે અત્યારસુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી છે તેમ જ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વીડિયોના ઓરિજિનલ પ્રૂફ લેવામાં આવ્યા હતા. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. સમન્સમાં તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે.
વકીલે કોર્ટ ઇન્કવાયરી ક્લોઝિંગની પ્રોસિજર રજૂ કરી
ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણીમાં અરજદારના વકીલ દ્વારા કોર્ટ ઇન્કવાયરી ક્લોઝિંગની પ્રોસિજર રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આઇપીસીની કલમ 499, 500 અંતર્ગત ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી.

આરોપી એક રાજ્યના ઉપમુખ્યમંત્રી છે
8 ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં સીઆરપીસીના નિયમ 202 મુજબ, ઇન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે આરોપી તેજસ્વી યાદવ સામે નિયમ 204 અંતર્ગત સમન્સ કાઢવા માગ કરી હતી. અરજદારના વકીલ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 364 જ્ઞાતિના લોકો રહે છે. કોઈ એક વ્યક્તિને કંઈ કહ્યું હોય તો ઠીક, આ સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન છે. આરોપી એક રાજ્યના ઉપમુખ્યમંત્રી છે. તેનું નિવેદન સમાજના લોકોને અસર કરે છે. આ મુદ્દે આગામી સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરાશે.
તેજસ્વી યાદવ શું બોલ્યા, જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’

નરોડામાં રહેતા હરેશભાઈએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
અમદાવાદના નરોડામાં રહેતા હરેશભાઈ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને ‘ઠગ’ કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ છે. ફરિયાદી ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપપ્રમુખ છે.
ફરિયાદી કોર્ટમાં પુરાવાઓ જમા કરી ચૂક્યા છે
1 મેએ મેટ્રો કોર્ટમાં આ મુદ્દે ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેનડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા. આ કેસમાં આજે વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
.