વડોદરા6 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં હાલ વડોદરા ક્રાઇમ બ્રાંચ તપાસ કરી હતી. આ ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ દરમિયાન ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જરની લીવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ગોત્રીના પોલીસ સ્ટેશનના નવા પીઆઇ તરીકે એમ.આર.સંગાળા ચાર્જ સંભાળશે.
પીઆઇ સતત વિવાદોમાં રહ્યા
ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જર અવારનવાર વિવાદમાં આવી ચૂક્યા છે. વકીલની ફરિયાદને લઇને કાર્યવાહી ન કરવા બાબતે વકીલ મંડળનો મોરચો ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક યુવાનના અકસ્માત મામલે પણ પોલીસ ફરિયાદ ન નોંધતા તેઓ વિવાદમાં આવ્યા હતા.
સચિન ઠક્કરની હત્યા થઈ
આ ઉપરાંત વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડા બાદ ત્રણ ઇસમો દ્વારા સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કરને બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટૂંકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનુ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં આરોપી પાર્થ બાબુલ પરીખ(ઉ.40) (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી(ઉં.33, રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા) અને વિકાસ લોહાણા(ઉં.30), રહે.વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા)ની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી. આ કેસની તપાસ ગોત્રી પોલીસ કરી રહી હતી અને પછી તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી.
આ કેસમાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરને ન્યાય અપાવવા લોહાણા સમાજે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી અને સમગ્ર મામલો ગૃહ મંત્રી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હવે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. કે. ગુર્જરની અચાનક જ બદલી કરીને તેમને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા પીઆઇ તરીકે એમ.આર. સંગાળાને મુકવામાં આવ્યા છે.
.